દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતની ઓળખ બની ચૂક્યો છે. ત્યારે સૌથી વધુ રાહ જોવાના આ ફેસ્ટિવલની તારીખોમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.
પતંગ મહોત્સવ હવે 10 જાન્યુઆરીને બદલે 12 જાન્યુઆરીથી શરૂ થશે. મળતી માહિતી પ્રમાણે, આ વખતના પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે થશે.
ગુજરાત સરકારે પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર કર્યા છે. વડાપ્રધાન મોદીનું શિડ્યુલ ફિક્સ થતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત 10 જાન્યુઆરીના બદલે 12 જાન્યુઆરીથી થશે. PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાશે.
PM મોદીનો કાર્યક્રમ ફિક્સ થતાં હવે પતંગોત્સવનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે. ત્યારે હવે કાઇટ ફેસ્ટિવલની તારીખો ફિક્સ થતાં જ તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. પહેલા રિવરફ્રન્ટ પર નાના પાયે આયોજન થયું હતું. ત્યારે આ વખતે રિવરફ્રન્ટ પર લગભગ અડધા કિલોમીટરમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાનની હાજરીને ધ્યાનમાં લઈને આયોજન દરમિયાન સુરક્ષા અને પ્રવેશ સહિતની ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન 10 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટ પર થતું હોય છે, જેમાં દેશ-વિદેશથી કેટલાય પતંગબાજો ભાગ લેવા પહોંચતા હોય છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોના 143 પતંગબાજોએ ભાગ લીધો હતો, જ્યારે ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. આ સિવાય ગુજરાતનાં પણ 11 શહેરોમાંથી 417 પતંગબાજોએ ભાગ લીધો હતો.
