કલા અને ઉદ્યોગનો અનોખો સંગમ – પ્રફુલ્લ શાહની કલાયાત્રાનું પ્રદર્શન:-
ભારતીય ટેક્સટાઈલ જગતના દિગ્ગજ અને ‘ગાર્ડન સિલ્ક મિલ્સ’ના પ્રણેતા પ્રફુલ્લ શાહ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સંવેદનશીલ કલાકાર અને કલા સંગ્રાહક પણ છે. 87 વર્ષની વયે પણ દરરોજ કેનવાસ પર રંગો પૂરતા પ્રફુલ્લભાઈ માટે કલા એ માત્ર શોખ નથી, પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી છે.
કલાત્મક દૃષ્ટિકોણ અને ઉદ્યોગમાં ક્રાંતિ:-
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત ફરેલા પ્રફુલ્લભાઈએ જ્યારે 1967માં પારિવારિક વ્યવસાયની જવાબદારી સંભાળી, ત્યારે તેમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું, તેમણે પરંપરાગત ટેક્સટાઈલ ડિઝાઈનરોને બદલે વડોદરાના ફાઈન આર્ટ્સના કલાકારોને ગાર્ડન સિલ્ક મિલ્સ’માં સામેલ કર્યા. કે.જી. સુબ્રમણ્યન જેવા દિગ્ગજ કલાકારોના માર્ગદર્શન હેઠળ તેમણે મિલમાં એક એવું કલાત્મક વાતાવરણ ઊભું કર્યું, જેણે ભારતીય કાપડ ઉદ્યોગની વ્યાખ્યા બદલી નાખી.
બાળપણથી શરૂ થયેલી અવિરત યાત્રા:-
તેમના મનમાં કલાના બીજ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલના ચિત્ર શિક્ષકના પ્રોત્સાહનથી રોપાયા હતા. પોતાની શૈલી વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, તેઓ કોઈ ચોક્કસ ‘સિગ્નેચર સ્ટાઈલ’માં બંધાવા માંગતા નથી. તેઓ મુક્ત મને રંગો, બ્રશ અને નાઈફ (Knife) વડે પ્રયોગો કરે છે. તેમના મતે, “ચિત્રકામ એ સર્જન અને શાંતિનું મિશ્રણ છે.” જ્યારે તેઓ કેનવાસ સામે હોય છે, ત્યારે દુનિયાની તમામ ચિંતાઓ વિસરી જાય છે.
દિગ્ગજ કલાકારો સાથેના સંસ્મરણો:-
પ્રફુલ્લભાઈની કલાયાત્રામાં ભારતના અનેક મહાન કલાકારોનો પ્રભાવ રહ્યો છે. એમ.એફ. હુસૈન સાથેના તેમના સંબંધો અત્યંત આત્મીય હતા. જ્યારે હુસૈન સાહેબને તેમની ફિલ્મ ‘ગજ ગામિની’ના નિર્માણ માટે આર્થિક સહાયની જરૂર હતી, ત્યારે પ્રફુલ્લભાઈએ નિઃસ્વાર્થ ભાવે મદદ કરી હતી. બદલામાં હુસૈને તેમને પોતાની પ્રસિદ્ધ ‘સિવિલાઈઝેશન સીરીઝ’ના ચિત્રો ભેટ આપ્યા હતા. આ ઉપરાંત એન.એસ. બેન્દ્રે ભૂપેન ખખ્ખર, અમિત અંબાલાલ, અતુલ ડોડિયા અને અકબર પદમસી જેવા કલાકારો સાથેનો તેમનો પરિચય તેમની કલાત્મક દૃષ્ટિ કેળવવામાં મહત્વનો રહ્યો છે.
અમદાવાદ ની ગુફા, નવરંગપુરામાં આ પ્રદર્શન ૨૪ ફેબ્રુઆરી થી ૧લી માર્ચ સુધી દરરોજ સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. પ્રદર્શન માં વર્ષ ૧૯૯૭ થી શરૂ કરી ૨૦૨૫ સુધીમાં કરેલા ૪૦ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.
