અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમાજને એકત્રિત કરવા તથા સનાતન સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે બી.કે.એમ. હાઇસ્કૂલ, બોપલ ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, સમરસતા, સંવાદિતા અને સાંસ્કૃતિક ચેતનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.
આયોજકોના જણાવ્યા મુજબ, સંમેલન સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવા, ધાર્મિક સંસ્કારોને મજબૂત બનાવવા તથા સામાજિક પરિવર્તન માટે જનજાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક તથા ભજન સમ્રાટ વિક્રમભાઈ લાબડિયાનું હિન્દુત્વના સંદેશ સાથેનું ડાયરો રહ્યું. “હિન્દુ સંગઠિત હોકર ચાલ પડે રાષ્ટ્ર નિર્માણ કે પથ પર”ના ભાવ સાથે રજૂ થયેલા ભજન અને લોકસંગીતે ઉપસ્થિત શ્રોતાઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ઓતપ્રોત કરી દીધા.
કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શોભના દીદી એ સમાજમાં સમરસતા વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહકાર્યવાહ ડૉ. સુનીલભાઈ બોરિસાએ પોતાના વક્તવ્યમાં સંઘની શતાબ્દી યાત્રા નિમિત્તે સમાજ પરિવર્તન માટેના પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વાવલંબી જીવનશૈલી અને નાગરિક કર્તવ્ય અંગે જનજાગૃતિ આજે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે સમાજની એકતા અને સંગઠન દ્વારા જ વિવિધ પડકારોનો સામનો કરી શકાય છે અને ત્યારે જ ભારત વધુ શક્તિશાળી બની શકે છે.
આ સંમેલનના આયોજન, સંકલન અને પ્રચાર-પ્રસારની જવાબદારી આયુષભાઈ રાઠી, નયનભાઈ દવે, ડૉ. જયેશભાઈ નાયક, અશ્વિન લીંબાચીયા, અમરીશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલે સફળતાપૂર્વક નિભાવી હતી.કાર્યક્રમ દરમિયાન સમાજમાં સમરસતા માટે કાર્યરત, સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને જાળવનારા, પર્યાવરણ માટે યોગદાન આપનાર તથા દેશનું ગૌરવ વધારનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું. તેમાં અન્ડર-19 ક્રિકેટર શ્રી વેદાંત ત્રિવેદી સહિત નાગરિક કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યું.અંતે તમામ ઉપસ્થિતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સંમેલન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો.
