અમદાવાદ
27મી જુલાઈએ અમદાવાદ શહેર સામુદાયિક ભાવના અને સામાજિક પ્રભાવના શક્તિશાળી સમન્વયનું સાક્ષી બનશે. સેન્સ ઈન્ડિયા તરીકે ઓળખાતી સેન્સ ઇન્ટરનેશનલ ઈન્ડિયા મેસેન્જર્સ ઓન સાયકલ્સ (એમઓસી)ની 11મી એડિશનનું આયોજન કરી રહી છે. આ એક અનોખી સાયક્લોથોન અને વૉકેથોન છે જેનો ઉદ્દેશ બધિરાન્ધતા અને વિવિધ વિકલાંગતાઓ ધરાવતા પુખ્તો તથા બાળકો માટે જાગૃતતા તથા સમર્થન ઊભું કરવાનો છે.
સાબરમતી રિવરફ્રન્ટથી 27 મી જુલાઈ એ સવારે 6.30 કલાકે શરૂ થનારી આ ઇવેન્ટમાં દિવ્યાંગો, પરિવારો, કોર્પોરેટ સપોર્ટર્સ, સ્વયંસેવકો અને સમાવેશકતાના સાથીઓ સહિત હજારો સહભાગીઓ એકત્રિત થશે. આ પહેલ ન કેવળ સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે પરંતુ બધિરાન્ધતા થી પીડાતા લોકો માટે સુલભતા, દ્રશ્યતા અને ગૌરવની જરૂરિયાત તરફ ધ્યાન આપવા પણ આહ્વાન કરે છે.
અમે મેસેન્જર્સ ઓન સાયકલ્સની 11મી એડિશનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ સાયક્લોથોન અને વૉકેથોન એક અભિયાન કરતાં સવિશેષ છે. તે હેલન કેલરના અભૂતપૂર્વ વારસા અને તેમણે સમાવેશકતા, સશક્તિકરણ અને સૌના માટે સમાન તકના જે મૂલ્યો ઉજાગર કર્યા તેને શક્તિશાળી નમન છે. સહભાગીઓ દ્વારા ભરાયેલું દરેક પગલું અને સાયકલ દ્વારા કાપેલું દરેક અંતર એક એવા વિશ્વના નિર્માણ માટે અમારી અડગ પ્રતિબદ્ધતા રજૂ કરે છે જ્યાં બધિરાન્ધતા અને વિવિધ વિકલાંગતાઓ ધરાવતા લોકો તરફ જોવામાં આવે, તેમને સાંભળવામાં આવે અને તેમની કદર થાય. હું તમામ સહભાગીઓ, સ્વયંસેવકો અને સ્પોન્સરર્સનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના સતત સમર્થનથી દર વર્ષે આ જાગૃતતા અને પરિવર્તનની સફરને વેગ મળે છે. એમ સેન્સ ઇન્ટરનેશનલ ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર બીજુ મેથ્યુએ જણાવ્યું હતું.
અમદાવાદના વાર્ષિક કેલેન્ડરમાં કાયમી સ્થાન મેળવનાર મેસેન્જર્સ ઓન સાયકલ્સ એક નાનકડા સામુદાયિક કાર્યક્રમથી આગળ વધીને શહેરની સૌથી વધુ પ્રતિષ્ઠિત ચેરિટી ઇવેન્ટ્સ પૈકીની એક બની ગઈ છે. ગયા વર્ષની એડિશનમાં 1,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેનો પ્રારંભગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો.
આ વર્ષની એમઓસીમાં બધિરાન્ધતા પરના ગ્લોબલ રિસોર્સ હબ (જીઆરએચ)નું લોન્ચિંગ પણ થશે. આ એક એવું અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ છે જે બધિરાન્ધતા ધરાવતા લોકો. શિક્ષણવિદો, સંભાળ રાખનારાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પરિવારો અને નીતિ ઘડનારાઓ માટે પ્રેક્ટિકલ ટૂલ્સ, બહુભાષીય સંસાધનો, ટ્રેનિંગ મટિરિયલ્સ, રિસર્ચ અને બેસ્ટ પ્રેક્ટિસીસ રજૂ કરે છે.
સેન્સ ઇન્ટરનેશનલ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઉત્તમ કુમારે જણાવ્યું હતું કે બધિરાન્ધતા પરના ગ્લોબલ રિસોર્સ હબનું લોન્ચિંગ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક નિર્ણાયક ક્ષણ છે. લાંબા સમયથી બધિરાન્ધતા પરની સુલભ અને વ્યવહારુ માહિતી છૂટીછવાઇ રહી છે અથવા પહોંચની બહાર છે. આ હબ એક સહયોગાત્મક નોલેજ ઇકોસિસ્ટમ એવા વન-સ્ટોપ પ્લેટફોર્મ ઓફર કરીને આ અંતરને પૂરે છે જેમાં સમાવેશક શિક્ષણ અને નીતિના અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે સુલભ અને કાર્યશીલ માહિતી છે. હબનો હેતુ એક્સેસિબલ ફોર્મેટમાં બધિરાન્યતા ધરાવતા લોકોને રોજબરોજની ઘટનાઓ અંગે માહિતી પણ પૂરી પાડવાનો છે જેથી તેઓ તેમની આસપાસની દુનિયામાં શું બની રહ્યું છે તેની માહિતીથી અજાણ ન રહે.
મેસેન્જર્સ ઓન સાયકલ્સ કેવળ એક કાર્યક્રમથી વિશેષ છે. તે એક એવા ભવિષ્ય માટેનો સામૂહિક અવાજ છે જ્યાં કોઈ પાછળ નહીં રહી જાય. ગ્લોબલ રિસોર્સ હબનું લોન્ચિંગ બધિરાન્ધતા ધરાવતા લોકોને સક્ષમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અને સુનિશ્ચિત કરે છે કે તેમને જે સમર્થન અને તકો જોઈએ છે તે તેમને મળે.
શરૂઆતમાં આ કાર્યક્રમ 29 જૂન, 2025ના રોજ યોજાનાર હતો પરંતુ અમદાવાદમાં વિમાન અકસ્માતની કરૂણ દુર્ઘટનાના પગલે મૃતકો પ્રત્યેની લાગણી દર્શાવતા તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. સેન્સ ઇન્ટરનેશનલ ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર બીજુ મેથ્યુએ જણાવ્યું હતું કે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા તમામ લોકોના પરિવારજનોની અમે પડખે છીએ. આ કાર્યક્રમમાં તેમને યાદ કરવામાં આવશે અને તેમના પ્રત્યે સન્માનની લાગણી દર્શાવાશે.
સાયકલ અને વૉક ઉપરાંત આ દિવસે બોલિવૂડ ઝુમ્બા, ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને ડીફબ્લાઇન્ડ એક્સપિરિયન્સ ઝોન સહિતની વિવિધ ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ પણ યોજાશે જેનાથી સહભાગીઓ એવા લોકોની દુનિયાનો અનુભવ કરી શકશે જેઓ કંઈ જોઈ કે સાંભળી શકતા નથી. આનાથી વધુ ગહન સમજદારી અને સહાનુભૂતિને પ્રોત્સાહન મળશે.
