અમદાવાદના બલોલનગર, કાલીગામ વિસ્તારમાં આજે મંથન હેલપિંગ હેન્ડ્સ દ્વારા સમાજના વંચિત અને ગરીબ વર્ગના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે એક સરાહનીય અને ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. AMCની કચરાની ગાડીઓ ચલાવતા ડ્રાઈવરોના એવા બાળકો, જેઓ વિવિધ પરિસ્થિતિઓને કારણે શાળાએ જઈ શકતા નહોતા, તેમના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે “મંથન આંગણવાડી”ની સ્થાપના કરીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મંથન હેલપિંગ હેન્ડ્સના સ્થાપક જેનીબેન બાબુ ના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય હેતુ ગરીબ અને વંચિત બાળકોને શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય માટેનું મજબૂત આધાર પૂરું પાડવાનો છે. આ પ્રયાસ દ્વારા અનેક બાળકોના જીવનમાં નવી આશા અને પ્રગતિના દ્વાર ખુલશે.
આ શુભ પ્રસંગે ડો. હર્ષદભાઈ પટેલ (ધારાસભ્ય, સાબરમતી), શ્રી જીતુભાઇ પટેલ (ધારાસભ્ય, નારણપુરા), શ્રી રસ્મિન ભાઈ ઠાકોર (રાચારડા ડેલિગેટ), રાજુભાઈ શાહ (જીવનતીર્થ સંસ્થાના ટ્રસ્ટી), કમલેશભાઈ ડભાની,પિયુષભાઇ માસર (પૂર્વ પ્રમુખ, લાયન્સ ક્લબ), અભિનંદન ભાઈ (સરસ્વતી સ્કૂલ ટ્રસ્ટી) તથા ડો. દીપલ બેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે અને “મંથન આંગણવાડી” જેવી પહેલ સમાજના અંતિમ વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે મંથન હેલપિંગ હેન્ડ્સની સમગ્ર ટીમ અને જેનીબેન બાબુના સેવાકીય કાર્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો અને તેમના વાલીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. “મંથન આંગણવાડી” માત્ર એક કેન્દ્ર નહીં, પરંતુ અનેક વંચિત બાળકોના સપનાઓને સાકાર કરવાનું એક મિશન બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
